April 7, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ઊર્જા સંરક્ષણ માટે પાકિસ્તાનનો પેંતરો: સિંધ સિવાય આખા દેશમાં રાત્રે 8 વાગ્યા બાદ શોપિંગ મોલ અને દુકાનો પર પાબંદી

04:09:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઊર્જા સંરક્ષણ માટે પાકિસ્તાનનો પેંતરો: </strong></span>સિંધ સિવાય આખા દેશમાં રાત્રે 8 વાગ્યા બાદ શોપિંગ મોલ અને દુકાનો પર પાબંદી</p>

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર પ્રતિબંધ મુકાયા બાદ વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. આ પરિસ્થિતિની સૌથી માઠી અસર પાકિસ્તાન પર પડી છે, જ્યાં પેટ્રોલ, ડીઝલ અને LPGની ભારે અછત સર્જાઈ છે. આ સંકટને પહોંચી વળવા વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારે દેશભરમાં 'સ્માર્ટ લોકડાઉન' જેવા કડક ઉર્જા સંરક્ષણ પગલાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મંગળવાર રાત્રે 8 વાગ્યાથી સિંધ પ્રાંત સિવાયના તમામ ભાગોમાં બજારો, શોપિંગ મોલ અને દૈનિક જરૂરિયાતની દુકાનો બંધ કરી દેવામાં આવશે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ વીજળી અને ઈંધણની બચત કરવાનો છે, જેથી દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે ઠપ્પ થતી અટકાવી શકાય. નવા નિયમો મુજબ, પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ઈસ્લામાબાદ જેવા વિસ્તારોમાં બજારો 8 વાગ્યે બંધ થશે. જોકે, જનતાની સુવિધા માટે બેકરી, રેસ્ટોરન્ટ, તંદૂર અને ખાદ્યપદાર્થોની દુકાનોને રાત્રે 10 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, લગ્ન સમારંભો પણ રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાના રહેશે અને ખાનગી મિલકતો પર મોડી રાત્રે કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

સરકારે માનવતાવાદી અભિગમ અપનાવતા દવાની દુકાનો અને ફાર્મસીઓને આ સમયમર્યાદામાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. મેડિકલ સ્ટોર્સ 24 કલાક ખુલ્લા રહી શકશે જેથી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે. વડાપ્રધાન શાહબાઝ શરીફે અન્ય પ્રાંતોના મુખ્યમંત્રીઓનો આ રાષ્ટ્રીય હિતના નિર્ણયમાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. આર્થિક બોજ ઘટાડવા માટે સરકાર દ્વારા ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં એક મહિના માટે આંતર-શહેર જાહેર પરિવહન મફત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ડિજિટલ વોલેટ સબસિડી યોજના હેઠળ પેટ્રોલિયમ પેદાશોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની રાહત આપવાનું પણ ચાલુ રાખવામાં આવ્યું છે.

સામાન્ય નાગરિકોને મોંઘવારીમાં થોડો ટેકો મળી રહે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ મુદ્દે વેપારી સંગઠનો સાથે બેઠકો શરૂ કરી છે. તેમણે ખાતરી આપી છે કે કરાચી જેવા મોટા વ્યાપારી કેન્દ્રોમાં બજાર ખોલવાના સમય અંગેનો નિર્ણય વેપારીઓની સલાહ લીધા બાદ જ લેવામાં આવશે. ટૂંક સમયમાં સિંધમાં પણ અન્ય પ્રાંતોની જેમ ઊર્જા સંરક્ષણના કડક નિયમો અમલી બને તેવી શક્યતા છે. પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો માટે આ સ્થિતિ અત્યંત પડકારજનક બની છે, જેના કારણે સરકારે આકરા પગલાં ભરવાની ફરજ પડી છે.