યુધ્ધને પગલે ભારતના યુરિયા પ્લાન્ટ્સમાં ઉત્પાદન અડધું થયું, ખાતરની તંગીનું જોખમ !
ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતો માટે યુરિયા ખાતર એ કરોડરજ્જુ સમાન છે, જે પાકના મબલખ ઉત્પાદન માટે અત્યંત આવશ્યક ગણાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી યુદ્ધની કટોકટી હવે સીધી રીતે ભારતીય કૃષિ ક્ષેત્રને અસર કરી રહી છે, જેના કારણે આગામી સમયમાં ખેડૂતોએ ખાતરની ભારે અછતનો સામનો કરવો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
મધ્ય-પૂર્વના દેશોમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ઈરાન દ્વારા Hormuz Strait (હોર્મુઝની ખાડી) ની નાકાબંધી કરવામાં આવતા કુદરતી ગેસ (LPG/LNG) ના પુરવઠા પર મોટી બ્રેક વાગી છે, જેની સીધી અસર દેશના યુરિયા ઉત્પાદન પર પડી રહી છે.
ઉત્પાદનમાં મોટો ઘટાડો:
પુરવઠો ખોરવાતા દેશના યુરિયા પ્લાન્ટ્સ હાલ તેમની કુલ ક્ષમતાના માત્ર 50% પર કામ કરી રહ્યા છે. ગેસ વિતરક કંપનીઓ જેવી કે GAIL, IOC અને BPCL એ સપ્લાયમાં મોટો કાપ મૂક્યો છે. ગેસનો પુરવઠો સામાન્ય સ્તરથી ઘટીને 60% થી 65% સુધી આવી ગયો છે, જેના પરિણામે ખાતરનું ઉત્પાદન પણ અડધું થઈ ગયું છે.
પેટ્રોનેટ LNG ની કટોકટીની જાહેરાત:
દેશનું સૌથી મોટું એલએનજી ટર્મિનલ ઓપરેટ કરતી કંપની Petronet LNG એ ઈમર્જન્સીની જાહેરાત કરી છે. વિદેશી સપ્લાયરોએ ખાડીમાં અવરોધ હોવાથી ગેસ પહોંચાડવામાં અસમર્થતા દર્શાવી છે. ભારત વિશ્વમાં યુરિયાનો સૌથી મોટો ગ્રાહક હોવાથી, આ ઉત્પાદન ઘટ આગામી ખરીફ સીઝન પૂર્વે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે.
વર્તમાન સ્ટોકની સ્થિતિ
સરકારી આંકડા મુજબ, 19 માર્ચ સુધીમાં ભારત પાસે કુલ 61.14 લાખ ટન યુરિયાનો ભંડાર ઉપલબ્ધ છે. ગત વર્ષે આ જ સમયે આ ભંડાર 55.22 લાખ ટન હતો. જોકે, યુદ્ધ લાંબુ ચાલશે અને ઉત્પાદન ઠપ્પ રહેશે તો આ જથ્થો જરૂરિયાત મુજબ ઓછો પડી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ બાદ હવે ખાતરની આ નવી અછત મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે.