April 4, 2026
ગુજરાત

" આવાં નેતાઓને ટિકિટ ન આપો", રાજકોટ : કારોબારી સમિતીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ જાડેજા સામે વિક્રમસિંહ જાડેજાએ લગાવ્યા ગંભીર આક્ષેપ...

10:53:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>" આવાં નેતાઓને ટિકિટ ન આપો", </strong></span>રાજકોટ : કારોબારી સમિતીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ જાડેજા સામે વિક્રમસિંહ જાડેજાએ લગાવ્યા ગંભીર આક્ષેપ...</p>

રાજકોટ જિલ્લાના રાજકારણમાં અત્યારે ખનીજ ચોરીના ગંભીર આક્ષેપો અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ કારોબારી સમિતીના પૂર્વ ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ ભુણાવા ખાતે ખનીજ ચોરીના મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.  જોકે, આશ્ચર્યની વાત એ છે કે ગંભીર ગુનો નોંધાયા બાદ પણ સહદેવસિંહ જાડેજા જાહેરમાં સક્રિય જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ યોજાયેલી તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં તેઓ કોઈ પણ જાતના ડર વગર ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓ પોતાના પત્ની માટે ટિકિટની માંગણી સાથે સેન્સ આપવા પહોંચતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ફરિયાદી વિક્રમસિંહ જાડેજા

આ સમગ્ર મામલે ફરિયાદી વિક્રમસિંહ જાડેજાએ પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. વિક્રમસિંહનું કહેવું છે કે, જે નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોય તે ખુલ્લેઆમ રાજકીય પ્રક્રિયાઓમાં ભાગ લઈ રહ્યા છે, જે દર્શાવે છે કે તેમને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે પોલીસ જાણીજોઈને ઢીલી કામગીરી કરી રહી છે અથવા તો રાજકીય દબાણ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં પાછીપાની કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ, પરંતુ અહીં સત્તાધારી પક્ષના નેતા હોવાનો ગેરલાભ લેવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આ ઘટનાને પગલે ભાજપ સંગઠન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદી વિક્રમસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કે ખનીજ ચોરી જેવા ગંભીર આરોપો ધરાવતા વ્યક્તિઓને ટિકિટ આપીને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. ભુણાવા ખનીજ ચોરીનો આ કિસ્સો હવે માત્ર એક તપાસ પૂરતો સીમિત ન રહેતા રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ખરેખર કાયદાકીય કાર્યવાહી કરે છે કે પછી રાજકીય વગ સામે કાયદો વામણો સાબિત થાય છે. આ વિવાદ આગામી સમયમાં રાજકોટ જિલ્લાના રાજકારણમાં નવા વળાંકો લાવી શકે છે.