એક પ્રયાસ ચકલી બચાવવાનો.... જૂની યાદો અને નવા સંકલ્પ સાથે વિજય ડાભીનું મહાઅભિયાન
એક સમય હતો જ્યારે શહેરની પોળો અને ઘરના આંગણા ચકલીઓના કલરવથી ગુંજતા હતા, પરંતુ આજે આ નાનકડું પક્ષી લુપ્ત થવાના આરે છે. વધતું જતું પ્રદૂષણ, જંગલોનો વિનાશ અને મોબાઈલ ટાવર્સના રેડિયેશન તેમજ શહેરી ઘોંઘાટને કારણે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'એનિમલ લાઈફ કેર' દ્વારા ચકલી બચાવવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.સંસ્થાના મંત્રી વિજય ડાભીએ જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં ઘરોમાં પક્ષીઓ માટે કુદરતી બખોલ રાખવામાં આવતી હતી, જે હવે આધુનિક સિમેન્ટના ઘરોમાં ગાયબ થઈ ગઈ છે.
જો આપણે દરેક નવા ઘરની બહાર એક નાનકડી બખોલ રાખવાનો સંકલ્પ લઈએ, તો જ ચકલીના છીનવાયેલા ઘર તેને પાછા આપી શકાશે. વિજય ડાભીએ ભાવુક થતા ઉમેર્યું કે, અમે નાના હતા ત્યારે ચકી-ચકાની વાર્તાઓ સાંભળીને મોટા થયા છીએ અને તેનો અવાજ કાને પડતો હતો. પરંતુ આજની પેઢીને ચકલી જોવા મળતી નથી. જો આજે આપણે જાગૃત નહીં થઈએ, તો આવનારા સમયમાં ચકલી જેવું પક્ષી ફક્ત તસવીરોમાં જ રહી જશે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત 'એનિમલ લાઈફ કેર'ના સભ્યો દ્વારા અમદાવાદના પરિમલ ગાર્ડન તેમજ શહેરના વિવિધ પોળ વિસ્તારોમાં ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
સંસ્થા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે કે દરેક નાગરિક પોતાના ઘરની આસપાસ એક માળો અને પાણીનો કુંડ અવશ્ય મૂકે.આવનારા સમયમાં પણ સંસ્થા દ્વારા અથાગ પ્રયત્નો ચાલુ રહેશે અને શહેરના ખૂણે-ખૂણે ચકલીના માળા પહોંચાડવામાં આવશે. આ અભિયાનમાં જોડાવા અને પ્રકૃતિના આ અંશને બચાવવા માટે એનિમલ લાઈફ કેર દ્વારા તમામ પ્રકૃતિપ્રેમીઓને અપીલ કરવામાં આવી છે.