સિલ્વાસામાં ગોઝારી ઘટના: નાઇટ્રોજન ગેસ સિલિન્ડર ફાટતાં 4 નાં મોત, 6 ગંભીર રીતે ઘાયલ
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલ્વાસામાં દૈમાણી રોડ પર આવેલા એક વેરહાઉસમાં નાઇટ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાથી ભયંકર વિસ્ફોટ થયો છે. આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અહેસાસ થતાં લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.
ગેસ રિફિલિંગ પ્રક્રિયા દરમિયાન સર્જાયો મહાવિસ્ફોટ
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, દૈમાણી રોડ પર આવેલા આ વેરહાઉસમાં નાઇટ્રોજન સિલિન્ડર રિફિલ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન અચાનક એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આખા વેરહાઉસમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ કરુણ ઘટનામાં વેરહાઉસ મેનેજર સહિત 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
છાપરાં ઉડ્યાં અને 30 મીટર સુધી સંભળાયો ધડાકો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે વેરહાઉસની છત અને દીવાલો હવામાં ઉડી ગઈ હતી. વિસ્ફોટનો પ્રચંડ અવાજ લગભગ 30 મીટરની ત્રિજ્યામાં સંભળાયો હતો, જેનાથી સ્થાનિક રહીશોને ભૂકંપના આંચકા જેવો અનુભવ થયો હતો. વિસ્ફોટ બાદ રસ્તા પર ચારેતરફ કાટમાળ વિખેરાઈ ગયો હતો. જોરદાર ધડાકાને પગલે નજીકની શાળાના બાળકો અને આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવચેતીના પગલારૂપે નજીકની શાળાઓ અને વ્યવસાયો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે.
હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ વેરહાઉસમાં ગેસ રિફિલિંગ માટે જરૂરી સલામતી ધોરણો અને નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે કેમ, તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.