સુરતમાં ₹2 કરોડની નકલી નોટો મામલે ઝડપાયેલો પ્રદીપ જોટંગીયા નીકળ્યો 'ધોરણ-12 પાસ' ઠગ!
સુરતમાં ₹2 કરોડની નકલી ચલણી નોટોના કેસમાં ઝડપાયેલા તથાકથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લોકોની આસ્થા સાથે રમત રમનાર આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ-12 સુધી ભણેલો એક સામાન્ય માણસ છે જેણે આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ મોટું કૌભાંડ આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પ્રદીપ જોટંગીયા અગાઉ રાજકોટમાં હેર સલૂન ચલાવતો હતો. ત્યાંથી સુરત આવી તેણે 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન'ના નામે સંસ્થા શરૂ કરી હતી.
કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી કે અનુભવ વગર તે પોતાને યોગગુરુ અને નિષ્ણાત તરીકે ઓળખાવતો હતો. તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને ભ્રમિત કરી લાખો રૂપિયા પડાવતો હોવાની આશંકા છે. પ્રદીપ જોટંગીયા પોતાના સોશિયલ મીડિયા વીડિયોમાં કેન્સર અને હૃદયના બ્લોકેજ જેવી જીવલેણ બીમારીઓ જડમૂળથી મટાડી દેવાની ગેરંટી આપતો હતો. તે પોતાના સોફા પર બેસીને દર્દીઓની મેડિકલ ફાઈલો જોતો અને સારવારના બહાને તેમને છેતરતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, તે જે ફાઈલો તપાસતો હતો તેમાં કોઈ આયુર્વેદિક ડોક્ટર કે તબીબી નિષ્ણાતનું નામ સુદ્ધા નહોતું, માત્ર પ્રદીપનો ફોટો છપાયેલો હતો. માત્ર 12 ધોરણ ભણેલો આ નકલી યોગગુરુ કોઈપણ મેડિકલ પ્રેક્ટિસ વગર જ કેન્સર જેવા રોગોના ઈલાજનો દાવો કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યો હતો. પોલીસને આશંકા છે કે તેણે અનેક લોકો પાસેથી આ રીતે કરોડો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. હાલ પોલીસ આ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે કે આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે.