સુરત : વરાછામાં સગીરાનું અપહરણ કરનાર રત્નકલાકાર ઝડપાયો, પોલીસે આરોપીને જેલભેગો કર્યો...

સુરત શહેરના વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે કાર્યરત વરાછા પોલીસ મથકની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની દીકરીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમની દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે અપહરણ કરનાર શખ્સ બીજું કોઈ નહીં પણ વરાછાના ઘનશ્યામનગરમાં રહેતો રત્નકલાકાર અલ્પેશભાઈ ગોહિલ છે. વરાછા પોલીસે આ દિશામાં કાર્યવાહી કરીને આરોપી અલ્પેશ ગોહિલની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
પી.કે. પટેલ ( ACP સુરત પોલીસ )
પી.કે. પટેલ ( ACP સુરત પોલીસ )એ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપી અલ્પેશ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો વતની છે અને હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં રહીને હીરા ઘસવાનું કામ કરતો હતો. તે સગીરાને પોતાની જાળમાં ફસાવીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આ મામલે અપહરણની કલમોની સાથે સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાના ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસ સતર્ક બની હતી અને આરોપીના વતન તેમજ સંભવિત ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.