તમારી ફેવરિટ ચા હવે બનશે વધુ સુરક્ષિત : ભેળસેળિયા તત્વો પર સરકારની મોટી કાર્યવાહી, ટૂંક સમયમાં શરૂ થશે 'ટી માર્ક' સર્ટિફિકેટ...
ભારતીયોના સવારના પહેલા સોપાનથી લઈને સાંજની મહેફિલ સુધી જેનું સામ્રાજ્ય છે તેવી ચાની શુદ્ધતા હવે વધુ મજબૂત બનવા જઈ રહી છે. દેશમાં ચા માત્ર એક પીણું નથી પણ કરોડો લોકોની સંવેદના છે, ત્યારે બજારમાં મળતી ચાની ગુણવત્તામાં સુધારો લાવવા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી 'ટી માર્ક' પ્રમાણન યોજના અમલમાં મૂકવામાં આવનાર છે. મે 2026ની આસપાસ શરૂ થનારી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચાના વેપારમાં પારદર્શિતા લાવવાનો અને નકલી કે હલકી ગુણવત્તાની ચાના વેચાણ પર કડક અંકુશ મેળવવાનો છે. ટી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ 'ટી માર્ક' સિસ્ટમ એક એવા સુરક્ષા કવચ તરીકે કામ કરશે, જે ખાતરી આપશે કે પેકેટમાં રહેલી ચા તમામ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યના માપદંડો પર ખરી ઉતરી છે.
આ યોજના હેઠળ સરકાર માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ ડિજિટલ ટ્રેસેબિલિટી પર પણ વિશેષ ભાર મૂકવાની તૈયારીમાં છે, જેનાથી ચાના બગીચાથી લઈને ગ્રાહકના કપ સુધીની સપ્લાય ચેઈનની સંપૂર્ણ કડીઓ ટ્રેક કરી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી લેબોરેટરી ટેસ્ટિંગને વધુ સક્ષમ બનાવવામાં આવશે જેથી કોઈ પણ કંપની ગેરમાર્ગે દોરનારી વિગતો આપીને ગ્રાહકોને છેતરી ન શકે.
ખાસ કરીને ઈ-કોમર્સના જમાનામાં ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ શુદ્ધ ચા ઉપલબ્ધ થાય તે માટે સરકાર પોતાનું પોર્ટલ પણ લાવી શકે છે. ભારત વિશ્વમાં બ્લેક ટીનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવાથી આ પહેલ માત્ર સ્થાનિક ગ્રાહકો માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ચાની છબી સુધારવા માટે પણ સીમાચિહ્નરૂપ સાબિત થશે, જેના કારણે શહેરી અને ગ્રામીણ એમ બંને ક્ષેત્રોમાં ચાના ચાહકોને શુદ્ધતાની સો ટકા ગેરંટી મળશે.