અમદાવાદના ઇસ્કોન મંદિરના 29માં પાટોત્સવનો પ્રારંભ, ભવ્ય શોભાયાત્રામાં ઉમટી ભક્તોની મેદની
હિંદુ ધર્મમાં મંદિરના સ્થાપના દિવસ એટલે કે પાટોત્સવનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને જનમાનસમાં ભક્તિનો સંચાર કરવા માટે વિવિધ ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે. ઇસ્કોન દ્વારા આયોજિત આ ઉત્સવ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધાળુઓને એકસૂત્રે બાંધતો અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ ફેલાવતો એક પવિત્ર અવસર છે.
શોભાયાત્રા અને રૂટની વિગતો

એસ.જી. હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરને રામનવમીના પવિત્ર દિવસે 29 વર્ષ પૂર્ણ થશે. આ અવસર નિમિતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવની શરૂઆત વસ્ત્રાપુર એડવેન્ચર પાર્કથી એક વિશાળ શોભાયાત્રા દ્વારા કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં 35 ફૂટ ઊંચા રથમાં ભગવાન શ્રી શ્રી રાધાગોવિંદજી અને ભગવાન શ્રી શ્રી સીતારામ-લક્ષ્મણ-હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા વસ્ત્રાપુરથી શરૂ થઈને માનસી ચાર રસ્તા, જજિસ બંગલો રોડ, જોધપુર ચાર રસ્તા, પ્રેરણાતીર્થ દેરાસર અને રામદેવનગર થઈને ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.
ભક્તોનો ઉત્સાહ અને પ્રસાદ વિતરણ

સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ઇસ્કોન ભક્તો અને દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. હરે કૃષ્ણ મહામંત્રના નાદ સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. શોભાયાત્રા દરમિયાન માર્ગમાં હજારો ભક્તોને ખીચડી અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શ્રીલ પ્રભુપાદ લિખિત ધાર્મિક ગ્રંથોનું પણ વિતરણ કરાયું હતું. ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્યદાસજીએ જણાવ્યું હતું કે, શોભાયાત્રા બાદ મંદિરમાં આશરે 2,000 થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે પીવાના પાણી અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે આખો મહોત્સવ ખૂબ જ સુચારૂ રીતે પૂર્ણ થયો હતો.