વડોદરાના રાજકારણમાં ગરમાવો... ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને દીપા શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા
વડોદરા શહેરના રાજકારણમાં આજે ત્યારે મોટો ભૂકંપ આવ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા શ્રીવાસ્તવે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ જોડાણ આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નવા સમીકરણો રચશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આશિષ જોષીના કોંગ્રેસ પ્રવેશ પાછળનું મુખ્ય કારણ હરણી મોટનાથ તળાવમાં થયેલ કરુણ બોટકાંડ હોવાનું મનાય છે. આ દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે તેમણે હવે જનતાના હિતમાં કોંગ્રેસની વિચારધારા અપનાવી છે.

આ વિધિવત પક્ષ પલટાના પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આશિષ જોષી અને દીપા શ્રીવાસ્તવને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવના કોંગ્રેસ પ્રવેશથી વાઘોડિયા પંથક અને વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે. આ પગલું ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે શ્રીવાસ્તવ પરિવારનો લોકસંપર્ક હંમેશા મજબૂત રહ્યો છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, નિષ્ઠાવાન અને લોકો માટે લડનારા નેતાઓનું કોંગ્રેસમાં હંમેશા સન્માન છે. આ જોડાણથી વડોદરા કોર્પોરેશનમાં વિપક્ષનો અવાજ વધુ બુલંદ થશે અને ભ્રષ્ટાચાર સામેની લડાઈને નવું બળ મળશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરોએ હાજર રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરામાં ભાજપના આંતરિક અસંતોષનો લાભ હવે કોંગ્રેસને મળી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે, જેની સીધી અસર આવનારા દિવસોમાં શહેરના રાજકીય વહીવટ પર જોવા મળશે.