થલાપતિ વિજયનું રિએક્શન: "છૂટાછેડાના સમાચાર એક ગંદુ પોલિટિકલ ગેમ છે"

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા વિજય થલાપતિએ છેલ્લા કેટલાય સમયથી તેમની પર્સનલ લાઈફ અને પત્ની સંગીતા સોરનલિંગમ સાથેના છૂટાછેડા અંગે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. તમિલનાડુના નેલ્લાઈ (તિરુનેલવેલી) ખાતે એક જનસભાને સંબોધતા વિજયે સ્પષ્ટ કર્યું હતું કે આ અફવાઓ જાણી જોઈને ફેલાવવામાં આવી રહી છે જેથી તેમની છબી ખરડાઈ શકે. વિજય થલાપતિએ તેમના ભાષણમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધીઓ દ્વારા જાણી જોઈને તેમની અંગત જિંદગીને નિશાન બનાવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, "લોકો વિચારી રહ્યા છે કે મારી સાથે આગળ શું થશે, તેથી તેઓ મારી આજુબાજુના લોકોનો ઉપયોગ કરીને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ આવી અફવાઓની સામાન્ય જનતા પર કોઈ અસર પડશે નહીં." પોતાના ચાહકોને સંબોધતા વિજયે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે, "ગમે તેટલી તકલીફ આપો, પરંતુ મને મારા લોકોથી અલગ કરી શકશો નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે કરુર વિવાદ હોય કે ફિલ્મોની રિલીઝ અટકાવવાના પ્રયાસો, દરેક વખતે જનતાએ તેમને પૂરો સાથ આપ્યો છે. અભિનેતાએ આક્ષેપ કર્યો હતો કે તેમની ફિલ્મ ‘જન નાયકન’ ની રિલીઝ રોકવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ હવે તેમના માટે નવા નિયમો અને બનાવવામાં આવ્યા છે.
તેમણે આને લોકશાહીમાં અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર વિજય અને અભિનેત્રી તૃષા કૃષ્ણનનો એક પાર્ટી વીડિયો વાયરલ થયો હતો, જેને પગલે તેમના અફેર અને પત્ની સાથેના છૂટાછેડાની અટકળો તેજ બની હતી. જોકે, વિજયના આ તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ તમામ વાતો માત્ર પાયાવિહોણી અફવાઓ છે અને તેની પાછળ રાજકીય હેતુ રહેલો છે.